હું યુવા............!
યુવા શબ્દ બે અક્ષરો થી બનેલો આપણા દેશનો સૌથી પ્રચલિત શબ્દ
છે. ઘણીવાર આજુબાજુનાં લોકોને બોલતા સાંભળ્યું પણ હશે કે દેશની પ્રગતી યુવાનો પર
નિર્ભર છે. યુવા શબ્દ માં એટલી શક્તિ છે કે તે ગામ,સમાજ કે દેશનું નામ રોશન કરી
શકે અને નવી ઉચાઈઓ પર પણ લઇ જઈ શકે અને કોઈપણ સમસ્યાઓનો સામનો કરી શકે. કોઈ પણ
દેશની સાચી સંપતી હોય છે ત્યાનું માનવ સંસાધન એમાં પણ ખાસ કરીને ત્યાનું યુવાધન.
કોઇપણ દેશનો વિકાસ તેના યુવાધન પર આધારિત છે. એવું કહેવાયું છે કે જે દેશનું
યુવાધન વધારે એ દેશોનો વિકાસદર પણ સારો હોય છે.
પરંતુ શું આજનો યુવાન ખરેખર યુવા બનવા કટિબદ્ધ છે? શું આજનો
યુવાન જે દિશામાં આગળ વધી રહ્યો છે તે દિશા યોગ્ય છે? આવા ઘણા બધા પ્રશ્નો આજે
ચારો તરફ દેશ કે સમાજને સતાવી રહ્યા છે એના ઘણા બધા કારણો છે. બધા કારણો જાણવાની
કોશિશ કરીશું તો ચોક્કસ એના જવાબો પણ મળશે. આજનો યુવા ધારે તો દેશ માટે ઘણું બધું
કરી શકે. આપણે આપણા દેશ અને સમાજને
કંઈક એવી ઓળખ આપવી જોઈએ કે જેથી માત્ર આપણો સમાજ જ નહીં પણ અહીંનો દરેક નાગરિક આ
દેશમાં રહીને, દેશ
પ્રત્યેના કોઈપણ યોગદાન માટે પોતાના પર ગર્વ અનુભવી શકે. આજે પણ આપણા
ભારત દેશમાં ‘વિવિધતામાં
એકતા’, ‘અતિથિઃ દેવો ભવ’ જેવી વસ્તુઓ માત્ર પુસ્તકોમાં જ
નહીં, વાસ્તવિકતામાં પણ છે. હું માનું છું કે કોઈ પણ દેશ
સંપૂર્ણ નથી હોતો, પરંતુ તેને સંપૂર્ણ બનાવવાની જવાબદારી
આપણી
યુવાધનની છે.
આપણી
આજુબાજુ જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આજનો યુવાનો અલગ અલગ વ્યસનો પાછળ
જીંદગી લુંટાવી રહ્યો છે. આજના યુવાનો સ્માર્ટ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ અને ટી.વી. જેવા
પ્રચાર-પ્રસારના માધ્યમોના સંગે ચડી, પોતાની વિચારશક્તિ, કલ્પનાશક્તિ, સર્જનાત્મક્તા ક્ષમતાને નષ્ટ કરી રહ્યા છે.આજે
યુવાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં
દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મોબાઇલ, બાઈક, સારાં કપડાં અને હેર
સ્ટાઈલ તેમજ દેખાદેખી યુક્ત ફૅશન પણ આજના યુવાધનને દિશા વગરના તેમજ વિનાશના
યજ્ઞમાં પોતાની આહુતિ રૂપે હોમવા માટે વિશેષ જવાબદાર છે. આ ફેશનરૂપી માહોલને લીધે આજના
યુવાનો પોતાની કારકિર્દીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતનાં મોટાં મોટાં
શહેરોમાં બદલાતી ફૅશન આજના યુવા સમાજ પર એટલી હદે પ્રભાવીત સાબિત થઈ રહી છે કે જેના
લીધે અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે. ફેશન અપનાવવા આજનો યુવાન
કોઈ પણ નિમ્ન હદની ગુનાહિત પ્રવૃત્તિ કરતાં અચકાતો નથી. ફેશનને લીધે સામાજિક તેમજ
પારિવારિક ક્ષેત્રમાં પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આમ, વિષય, વ્યસન અને ફેશન આજના યુવાધનના
મહાવિનાશનું કારણ
બની રહ્યું છે. જો આપણે આપણા દેશને ઉત્કૃષ્ટ બનાવવો
હોય તો આ તમામ વ્યસનોમાંથી
બહાર નીકળવું પડશે જે
દરેક યુવાઓ એ સમજવું પડશે. દેશ કે સમાજના વિકાસ માટે કટિબદ્દધ થવું પડશે. આપણે જાણીએ છીએ કે જો કોઈ
આ કરી શકે છે, તો તે
બીજું કોઈ નહીં પણ યુવાનો છે. કારણ કે તેના માટે ખૂબ જ ધીરજ, પ્રેમ, ઉત્સાહ અને તાકાતની જરૂર પડશે.
દેશના વિકાસમાં સૌથી મહત્વનો ફાળો શિક્ષણનો પણ છે. શિક્ષણ એક એવું સંસાધન છે કે
જેનાથી આજના યુવાનોને શિક્ષિત બનાવી પગભર બનાવી શકાય તેમજ દેશ ને નવી ઉંચાઈઓ સુધી
લઇ જઈ શકાય.મોટાભાગના યુવાનો હજી પણ
જીવનમાં યોગ્ય વલણ પસંદ કરે છે, જે લક્ષ્યો નક્કી કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે
પ્રયત્ન કરે છે. સારી જીવનશૈલી જીવીને, આપણે ગૌરવ સાથે
જીવવા અને આપણા સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે જીવનમાંથી બધું મેળવવા માંગીએ
છીએ. પરંતુ આપણી વચ્ચે યુવાની એક નકારાત્મક બાજુ પણ છે, જે
પોતાને એક ખૂણામાં લઈ જાય છે, જ્યાંથી તે પોતાની મેળે
બહાર નીકળી શકતો નથી. તેમની પાસે ઘણી સમસ્યાઓ છે જે તેઓ જાતે ઉકેલી શકતા નથી ખરાબ ટેવો સમગ્ર સમાજના
જીવન પર તેમજ ખાસ કરીને વ્યક્તિના જીવન અને પ્રવૃત્તિઓ પર નકારાત્મક અસર કરે છે. આ
ક્ષણે, આ
સમસ્યા ખરેખર વૈશ્વિક બની ગઈ છે.
યુવાન એટલે ઝગમગતો, ટમટમતો તેજસ્વી તારલો કહીએ તો કઈ ખોટું નથી. આ તારલો પરિવારને, સમાજને, દેશને, વિશ્વને
સર્વે રીતે ઊજાળે એમ છે. પણ જ્યારે તે દિશા વિનાનો પાંગળો બને છે ત્યારે પરિવાર,
સમાજ, દેશ અને વિશ્વનું પતન કરે છે. એને
એમ જ લાગે છે કે આ કેવળ મારી અધોગતિ છે, મારો એકલાનો
પરાજય છે, મારા એકલાની જ નિષ્ફળતા છે. પરંતુ તે સમાજ,દેશ અને
વિશ્વની બધાની જ નિષ્ફળતા છે. આ
યુવાધનને પતન અને અધોગતિના માર્ગેથી કોણ પાછું વાળી શકે ? એને કોણ સાચી દિશામાં લઇ જઈ શકે? યુવાધનને બચાવવા યુવાને સ્વયં પહેલ
કરવી પડશે. એણે પોતાની દશા અને અવદશાનું મૂલ્યાંકન કરવું પડશે. એણે જ સ્વયં જાગવું
પડશે. એણે જ પોતાની જાતને ઓળખવી પડશે. એણે જ પોતાનું જીવન ધ્યેયસભર રચવું પડશે. તો
જ તે પોતાને, સમાજને, દેશને અને વિશ્વને બચાવી શકશે અને દેશના વિકાસમાં સહભાગી થઇ
નવી ઉંચાઈઓ સુધી પહોચાડી શકશે.
લેખક:
શ્રી નિરલ ગુણવંતભાઈ પટેલ
વ્યાખ્યાતા,મીકેનીકલ ઈજનેરી
શ્રી કે જે પોલીટેકનીક, ભરૂચ
Decision News ની અનોખી પહેલ : તેમના દ્વારા ત્રિમાસિક મેગેઝિન બહાર પાડવામાં આવ્યું છે. જે આજના યુવાનો માટે
માર્ગદર્શક સાબિત થશે. આ પહેલને આવકારી ચેનલને સબક્રાઈબ કરીએ.
ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ શ્રી નર્મદજી ની જન્મ જયંતિ (૨૪ ઑગસ્ટ ૨૦૨૨) નિમિત્તે Decision Newsમા પ્રકાશિત થયેલ ત્રિમાસિક મેગેઝિનમાં વ્યાખ્યાતા નિરલ પટેલ દ્વારા લખેલ આર્ટિકલ "આજનું યુવાધન કઈ દિશા તરફ" પ્રકાશિત થયો છે.
આર્ટિકલ ડાઉનલોડ pdf :અહીં ક્લિક કરો.
સૌજન્ય: Decision News
0 Comments