પ્રેરણાદાયક કિસ્સો

 આ એક પ્રેરણાદાયક કિસ્સો દરેક વ્યક્તિએ વાંચવા અને જીવનમાં ઉતારવા જેવો છે. 

શ્રી જયહિન્દ દેસાઈની  અમરકથાઓ ગૃપની ફેસબુક વોલ ઉપરથી સાભાર...


મોરારજીભાઈ_દેસાઈ

માહિતી સ્ત્રોત: વોટ્સ એપ્પ, ગુગલ, 

જન્મ તારીખ: ૨૯/૦૨/૧૮૯૬

મૃત્યુ તારીખ:  ૦૨/૦૪/૧૯૯૫

અશોક્ નાથાલાલ શાહ નાનપણથી સખત મહેનતુ અને હોશિયાર. લગભગ બહુ જ નાની વયે તેમણે ઉત્તમ ગુણાંક સાથે એમ.બી.બી.એસ.નો અભ્યાસ અમદાવાદની વિખ્યાત બી.જે.મેડીકલ કૉલેજમાંથી ઝળહળતી તેજસ્વિતા  સાથે પૂર્ણ કર્યો. 

ડો.અશોકભાઈને એમ.એસ.ના ઉચ્ચ અભ્યાસ માટે સ્કૉલરશિપ તો મળી જ હતી. તેમને આ બાબતની ચિંતા હતી નહીં, પરંતુ  જ્ઞાનપિપાસુ વિઘાર્થી હોવાને લીઘે તેમની એક તીવ્ર ઈચ્છા હતી કે જે પુસ્તકો દ્વારા અમેરિકા અને જર્મનીમાં એમ.એસ.નો અભ્યાસ કરતા વિઘાર્થીઓ જ્ઞાન  મેળવે છે, તે પુસ્તકો જો તેમને ભારતમાં અને ખાસ કરીને અમદાવાદની મેડિકલ લાઇબ્રેરીમાં મળી જાય તો તેઓ વિદેશના વિઘાર્થી જેટલી જ સરળતાથી ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે.

ઘણા લાંબા સમયના પ્રયાસો બાદ, અમુક લાઈબ્રેરીમાંથી તેમને માહિતી મળી કે અમેરિકાનાં તેમજ જર્મન પુસ્તકોનાં વેપારીને ભારતની કોઈક બૅંક દ્વારા જો તે બે હજાર રૂપિયા મોક્લી આપે તો તે વેપારીઓ વિઘાર્થીના હિતને લક્ષમાં રાખીને, બજારભાવ કરતાં પણ ઓછા દરે તે પુસ્તકો ભારતમાં અમદાવાદની મેડિકલ લાઈબ્રેરીમાં મોક્લી આપે.

બે હજાર રૂપિયા લાવવા કયાંથી? કોઈ સગાસંબંઘી કે મિત્રો પાસે હાથ લંબાવવો એ તો અશોકભાઈના લોહીમાં જ ન હતું. આમ ભારે સ્વાભિમાની. એટલે પુસ્તકો મેળવવા તેમણે અમદાવાદની ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી પુસ્તકો મેળવી આપવા નમ્ર વિનંતી કરી જોઈ. ઘણા મેડિકલ ડૉકટર પ્રાઘ્યાપકો સાથે પણ તેમણે ઘણી માથાફોડ કરી કિંતુ તેઓ કયાંય કોઈ પણ રીતે સફળ ન થયા. હિંમત ન હારતાં પુસ્તકો મેળવવા એક વઘારે પ્રયાસ કરવાનું તેમણે વિચારી લીઘું 

 અશોક શાહે મૅટ્રિકથી એમ.બી.બી.એસ. સુઘીની તમામ માર્કશીટ્સની નકલો કરી. તેની સાથે એક વિગતવાર પત્ર તે વેળાના કેન્દ્રીય નાણાપ્રઘાન શ્રી.મોરારજી દેસાઈને લખ્યો કે જો તમે મારા અભ્યાસ માટેનાં આ પુસ્તકો માટે બે હજાર રૂપિયાની સગવડ કરી આપો તો હું મારી સંપૂર્ણ મહેનત સાથે એ પુસ્તકોનો અભ્યાસ કરી જે જ્ઞાન અમેરિકા તેમ જ જર્મન મેડિકલ વિઘાર્થીઓને મળે છે તે જ્ઞાન મેળવવાની સફળતા હું ભારતીય મેડિકલ વિઘાર્થીઓને આપવા ઈચ્છું છું.

 મોરારજીભાઈને અશોકભાઈનો  આ સંદર્ભે કાગળ મળ્યા પછી  અશોકભાઈને બે હજાર રૂપિયા આપવાની ઈચ્છા થઈ. પણ મોરારજીભાઈ સામે બહુ જ વિકટ પશ્ન હતો. રૂપિયા બે હજાર કઈ રીતે આ તેજસ્વી વિઘાર્થીને મદદરૂપે આપવા? પોતે કેન્દ્રના નાણાંપ્રઘાન હોદ્દાની રુએ તેઓ કોઈનેય આમ સરકારી ભંડોળમાંથી કારણ વિના એક રાતી પાઈ પણ ન આપી શકે. તેમને જે કંઈ કરવાનું તે બઘું કાયદાની મર્યાદામાં રહીને જ કરવાનું હતું.

ભારતના નાણાંપ્રઘાન માટે બે હજારની રકમ બહુ મોટી વિસાત હતી નહી.મોરારજીભાઈ ધારત તો પોતાની સત્તાની રુએ બે હજાર શું બે લાખ રૂપિયા પણ અશોકભાઈને આપી શક્યા હોત  પરંતુ એમને મન સિદ્ઘાંત અને નીતિનિયમ પોતાના પ્રાણથીય વિશેષ મહત્વના હતા. મોરારજીભાઈ દેસાઈ ઈચ્છત તો નીતિનિયમ અને સિદ્ઘાંતનું બહાનું કાઢીને અશોકભાઈને 'દિલગીર" છું કહીને છટકી શક્યા હોત, પરંતુ બે હજાર જેવડી નાનકડી રકમને લીઘે કોઈ તેજસ્વી વિઘાર્થીનો અભ્યાસ બગડશે તે વિચારને ઘ્યાનમાં રાખીને કશી માથાઝીંક કે ચિંતા કર્યા વગર, પોતાના અંગત બૅંક બૅલેન્સમાંથી બે હજાર રૂપિયાનો ચેક ડૉ.અશોક શાહને તેમણે તાત્કાલિક મોકલી આપ્યો. સાથે એમણે પત્રથી જણાવ્યું કે બે હજાર રૂપિયા તમને લોન તરીકે મારા અંગત ખાતામાંથી મોકલું છું. તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી તમારી સગવડે મને પરત કરશો. અને જીવનમાં તમને તમામ શિખરો પર  સફળતા વરો એવી આશિષ છે.       

૧૯૬૭માં અશોકભાઈ એમ.એસ.થયા. તે સમયે મોરારજીભાઈ દેસાઈ કોઈક કારણસર અમદાવાદ પઘારેલા. અશોક્ભાઈ તેમને મળવા ગયા બે હજાર રૂપિયાનો ચેક પરત કર્યો. મોરારજીભાઈ સખત કામમાં ગૂંથાયેલા હોવા છતાં તેમણે અશોક્ભાઈ સાથે બેચાર મિનિટ વાતચીત કરી અને ભાવિ અભ્યાસ વિશે પૂછપરછ કરી. અશોક્ભાઈએ મોરારજીભાઈને જણાવ્યું કે હું ટૂંકસમયમાં વઘારે અભ્યાસ અર્થે અમેરિકા જવાની ઈચ્છા રાખું છું. તેમના આ જવાબથી મોરારજીભાઈ ખુશ થયા. તેમની પાસે પૂરતો સમય ન હોવાથી તેમણે અશોક્ભાઈને કહ્યું કે તમે તમારો વિદેશનો અભ્યાસ ખુશીથી પૂર્ણ કરો. તમને મારા આશીવાર્દ છે. તમને સંતોષ થાય કે મેં જીવનમાં જેટલી ઈચ્છા રાખી હતી તેટલો અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે મને મારી લોનના રૂપિયા પરત કરજો. હમણાં તમે આવી ખોટીં ચિંતા ન કરો ફકત તમારા અભ્યાસમાં ઘ્યાન રાખો. આ પ્રમાણે કહીને તેઓ પાછા પોતાના કામમાં ગૂંથાઈ ગયા.

૧૯૮૨ના અરસામાં અશોક શાહ મોરારજીભાઈને મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને મળવા ગયા. મોરારજીભાઈ રોજિંદા નિયમ મુજબ રેંટિયો કાંતી રહ્યા હતા. અશોક્ભાઈએ મોરારજીભાઈના હસ્તાક્ષરવાળો પત્ર  અને ચેકની નકલ સાથે બે હજાર રૂપિયાનો ચેક સાભાર તેમના હાથમાં મૂકયો. મોરારજીભાઈ બહુ જ ખુશ થયા. 

પરત કરેલા ચેકનો આભારસહ અસ્વીકાર કરીને, અશોક્ભાઈને આશીર્વાદ આપતાં તેમણે કહ્યું કે તમારા જેવા ઈમાનદાર, પ્રામાણિક અને જ્ઞાની ભારતીય પર હું ગૌરવ અનુભવું છું. લગભગ પંદરવીસ વરસ પછી પણ કોઈકે જીવનમાં કરેલી મદદનું ઋણ તમે ભૂલ્યા નથી તે મારા માટે આનંદની વાત છે. કોઈનેય મદદ કરું છું તે હંમેશ માટે ભૂલી જવામાં હું માનું છું . તમને ભૂતકાળમાં કયારેય કોઈ મદદ કરી હોય એ મને યાદ પણ નથી. પણ આ મારા હસ્તાક્ષરવાળો કાગળ અને ચેકની ઝેરોકસ નકલ જોઈને મને તમને એક વડીલ તરીકે બે શબ્દો કહેવાનું મન થાય છેઃ ' તમે જયારે પણ કોઈને કંઈ પણ મદદ કરો ત્યારે મદદ કર્યાની વાતને તમારે હંમેશ ભૂલી જવી. થાય એટલી લોકોને જીવનમાં મદદ કરવી પણ ફળની આશા કયારેય ન રાખવી." 

વિદાય લેતા ડૉ.અશોક શાહને મોરારજીભાઈએ જરા રમૂજ સાથે કહ્યું, 'મેં તો મારી નાનકડી મૂડીને ભારતની સેવા માટે રોકી હતી. પણ તેનો લાભ અમેરિકા જેવા સગવડવાળા દેશને મળ્યો! પરંતુ અમેરિકામાં તમે જયારે જીવનનો પૂરેપૂરો સંતોષ અનુભવી લ્યો ત્યારે થોડીક સેવા ભારતને પણ આપજો.હજી ભારતના લાખો ગામડાઓને સેવાભાવી ડોકટરોની જરુર છે...

૨૯ ફેબ્રુઆરી એટલે મોરારજી દેસાઈનો જન્મદિન. ‘મારું જીવનવૃત્તાંત’ ડબલ ક્રાઉન સાઇઝનાં સવા સાતસો પાનાં (ક્રાઉન સાઇઝનાં ચૌદસો પચાસ પાનાં)માં વિસ્તરતી તેમની આત્મકથા છે. એનું વિવરણ સાહિત્યકૃતિ તરીકે ન કરી શકાય: નથી એમાં અલંકારો કે નથી વક્રોક્તિ. મોરારજીભાઈની છાપ સ્પષ્ટવક્તા અને સત્યવક્તા તરીકે હોવાથી આ પુસ્તક વીસમી સદીના ભારતનો અગત્યનો રાજકીય અને ઐતિહાસિક દસ્તાવેજ બની રહે છે.

પ્રસ્તાવનામાં મોરારજીભાઈ લખે છે, ‘… માત્ર પૈસા કમાવાને માટે કોઈ કામ ન કરવું પણ બાર વર્ષ પરદેશી સરકારની નોકરી કરી એમાં દેશની કુસેવા કરી એવું ભાન થવાથી મેં નોકરી છોડી દીધી હતી,એટલે એના પ્રાયશ્ચિત્ત તરીકે બાકીનું જીવન જનસેવા અને દેશસેવામાં જ ગાળવું અને તેમાં પોતાના સ્વાર્થને માટે કોઈ પણ કામ ન કરવું એવો સંકલ્પ મેં કર્યો હતો.’ (તે સમય જ એવો હતો કે સમાજનો એક વર્ગ દેશસેવામાં પ્રવૃત્ત થયો હતો. આવડું મોટું વિધાન પુસ્તકના પહેલા જ પાને કરવા માટે નીડરતા જોઈએ.)

લેખક વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ સર્વત્ર ‘સરદારસાહેબ’ તરીકે કરે છે. તેમના ચારિત્ર્ય વિશે લેખકનાં નિરીક્ષણો મનનીય છે: ‘પૈસાવાળાઓની સાથે જેટલો નિકટ સંબંધ એમનો હતો એથીયે વધારે નિકટનો સંબંધ એમનો.. કાર્યકર્તાઓ અને મજૂરોની સાથેનો હતો.’ ‘તેઓ ઘણા માણસોનો ઉપયોગ કરતા હતા પરંતુ એમાંના કોઈ માણસો એમનો ગેરલાભ ઉઠાવી શકતા ન હતા.’ ‘એમણે જે રીતે ૫૫૦થી પણ વધારે દેશી રાજ્યોને ભારત દેશના સંઘમાં ભેળવી દીધાં એ જગતના ઇતિહાસમાં એક અજોડ ઘટના છે. બિસ્માર્કે જર્મનીની એકતા સાધી હતી પરંતુ એ તો ઘણો નાનો દેશ હતો. એમાં થોડાં રાજ્યો હતાં. અને એક જ કોમ હતી… જ્યારે અહીં દુનિયાભરની બીજા નંબરની વસ્તી હતી, અને રાજ્યોની સંખ્યા એના કરતાં ૨૫ ગણી કે એથી પણ વધારે હતી. જુદા જુદા ધર્મોની માન્યતા ધરાવનાર કોમોની સાથે એમણે કામ લેવાનું હતું… આ દેશી રાજ્યો દેશના એના હજારો વર્ષના ઇતિહાસમાં એકબીજામાં સંકળાયેલાં ન હતાં, તેમ છતાં એમણે એ બધાંને એક જ રાજ્યમાં સાંકળી લીધાં હતાં. એમના સિવાય બીજું કોઈ આ કામ કરી શક્યું ન હોત એમાં મને કોઈ શંકા નથી.’ ‘પોતાના કુટુંબ વિશે કાંઈ વિશેષ એમણે વિચાર્યું ન હતું અને જ્યારે એમનો સ્વર્ગવાસ થયો ત્યારે એમણે ડાહ્યાભાઈની કે મણિબહેનની કાળજી લેવા માટે કોઈને પણ ઇશારો સુદ્ધાં કર્યો ન હતો.’ (મહાવીર ત્યાગીએ એક વાર મણિબહેનને ઠપકો આપ્યો હતો, ‘તમે દેશના નાયબ વડાપ્રધાનનાં દીકરી છો, થીંગડાંવાળી સાડી તમને ન શોભે!’ અન્ય વ્યક્તિએ સંસ્મરણોમાં નોંધ્યું છે કે સરદારના અવસાન પછી મણિબહેને પક્ષ સારુ એકઠી થયેલી રકમ નહેરુને સોંપી દીધી; ત્યારે પંડિતજીએ શિષ્ટાચાર ખાતર પણ ન પૂછ્યું કે તમે ક્યાં રહો છો? ગુજરાન માટે વ્યવસ્થા તો છે ને?) 

મોરારજીભાઈ લખે છે, ‘મહાન માણસો બે પ્રકારના છે: કેટલાકની યાદ એમના મૃત્યુ બાદ ઓછી થતી જાય છે જ્યારે કેટલાકની યાદ મૃત્યુ પછી વધતી જાય છે. સરદારસાહેબની યાદ એમના મૃત્યુ બાદ દિવસે દિવસે વધતી જાય છે.’

૧૯૫૬માં રેલવે અકસ્માતોની જવાબદારી સ્વીકારીને લાલબહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપી દીધું. લેખક નોંધે છે કે આવા અકસ્માતો દુનિયાભરમાં થાય છે, આ રીતે મંત્રીઓએ રાજીનામાં આપવાનાં હોય તો કશું કામ ન કરી શકાય. તેઓ ટીપણી કરે છે, ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી એક મુત્સદ્દી હતા અને એ રીતે પોતાની રાજકીય પ્રતિષ્ઠા વધારવા માટે એમણે આ પગલું લીધું હતું તેવું મને લાગ્યું હતું.’ ૧૯૬૫ના સંગ્રામ વિશે લેખક કહે છે, ‘શરૂઆતમાં પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે અમેરિકા કે બીજા કોઈ દેશો કશું બોલ્યા ન હતા અને હુમલાનો વિરોધ પણ કર્યો ન હતો, પરંતુ જ્યારે પાકિસ્તાનને હાર મળવા માંડી અને એમને થયું કે કદાચ પાકિસ્તાનનો નાશ પણ થઈ જશે ત્યારે એ બધાએ લડાઈ થંભાવવા માટે અપીલ કરી હતી… શ્રી લાલબહાદુરજીએ… જાહેરમાં એવું કહ્યું હતું કે આઝાદ કાશ્મીરમાંની જે બે ટેકરીઓનો કબજો આપણે લીધો છે એને કોઈ પણ સંજોગોમાં ખાલી કરીશું નહીં… આવી જાહેરાતથી ઘણા માણસો વધારે લોકપ્રિય બનતા હોય છે…’  પછી તાશ્કંદની વાટાઘાટોમાં જે ભૂમિ પહેલાં પાકિસ્તાને લઈ લીધેલી અને યુદ્ધમાં જેનો કબજો ભારતે મેળવી લીધેલો, તે ભૂમિ પાછી સોંપી દેવાનું ભારતે સ્વીકાર્યું. મોરારજીભાઈ લખે છે, ‘એ નિર્ણયની અસર ભારતમાં બહુ ખરાબ થઈ હતી અને લાલબહાદુરજી જે પહેલાં લોકપ્રિય થયા હતા એ હવે ઘણા અપ્રિય થયા… એમણે રાત્રે એમના કુટુંબ સાથે ટેલિફોન ઉપર વાત પણ કરી હતી. એ વાતચીત દરમિયાન એમને તાશ્કંદના નિર્ણય સામે દેશમાં જે વિરોધ થતો હતો એની જાણ કરવામાં આવી હતી. એની અસર એમના પર માઠી થઈ હશે એમ હું માનું છું અને ત્યાર પછી કલાક-દોઢ કલાકમાં જ એમનું મૃત્યુ થયું હતું. આ અગાઉ પણ એમને હ્રદયરોગના બે હુમલા થયા હતા. એમના મૃત્યુ વિશે ઘણી શંકાકુશંકાઓ અહીં ઉઠાવવામાં આવે છે. પરંતુ બધા સંજોગો જોતાં એ શંકાઓમાં મને ખાસ તથ્ય લાગતું નથી.’ (મોરારજીભાઈ તત્કાલીન રાજકારણના નિકટવર્તી સાક્ષી હતા, રિંગ સાઇડ વ્યુ મેળવતા હતા, એટલે તેમના નિરીક્ષણને અવગણી ન શકાય.)

૧૯૭૧ની ઘટનાઓ વિશે લેખક કહે છે, ‘(પાકિસ્તાન) કૃત્રિમ રીતે રચાયેલ દેશ હતો.૫૬% વસ્તી પૂર્વ પાકિસ્તાનમાં હતી અને માત્ર ૪૪% પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલી હતી. તોય પશ્ચિમ પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન પર શાસન કરતું હતું…. ૧૯૬૯-૭૦માં…શેખ મુજીબુર રહેમાનના પક્ષે જબરી બહુમતિ હાંસલ કરી… (તેઓ) વડા પ્રધાન બને એ વાત પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓને ગમતી ન હતી.’ વાટાઘાટો માટે જનરલ યાહ્યાખાન અને ભુટ્ટો પૂર્વ પાકિસ્તાન પહોંચ્યા. શેખ મુજીબની ધરપકડ કરાઈ, તેમને પશ્ચિમ પાકિસ્તાન લઈ જવાયા, લશ્કરે જનતા પર ઘોર અત્યાચાર કરવા માંડ્યા, શેખ મુજીબના સહકાર્યકરોએ ‘બાંગ્લાદેશ’ના સ્વતંત્ર રાષ્ટ્રની ઘોષણા કરી, એક કરોડ નિરાશ્રિતોએ ભારતમાં શરણ લીધું.પરિસ્થિતિ કેવી હતી? ‘પાક સૈન્ય રોજ રોજ હજારો મહિલાઓ પર બળાત્કાર ગુજારતું… નાસી ના જાય એ માટે કેટલીયે સ્ત્રીઓને નગ્ન કરીને પાક સૈન્યની છાવણીઓમાં રાખી હતી…બાંગ્લાદેશના સત્તાવાળાઓના કહેવા પ્રમાણે ત્રીસ લાખ લોકોની કરપીણ હત્યા કરાઈ હતી.’ ‘યાહ્યાખાને ભારત પર હવાઈ હુમલો કરવાનો હુકમ આપ્યો… ત્યારે આપણી સરકારે પ્રતિકારરૂપે બાંગ્લાદેશમાં સૈન્ય મોકલ્યું.’ બાંગ્લાદેશમાંનાં પાક દળોએ પંદર દિવસોમાં શરણાગતિ સ્વીકારી લીધી. પાકિસ્તાનની સેનાએ દમન આચરવા માંડ્યું તે પહેલાં તે દેશના ટુકડા કરવાનો ભારતનો ઇરાદો નહોતો તેમ મોરારજીભાઈ લખે છે.

વહીવટી તંત્રથી ન્યાયતંત્રને અલગ કરવાનું શ્રેય મુખ્યત્વે મોરારજીભાઈને જાય છે. મહાગુજરાત આંદોલનમાં શાંતિપૂર્ણ વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા ગોળીબારની આંશિક જવાબદારી તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે મોરારજીભાઈની પણ ખરી. મોરારજીભાઈ ભારતના પનોતા પુત્ર અને સત્યવીર હતા પરંતુ વહીવટમાં આવવાને લીધે સત્યમાં અધવચ્ચે અટકી ગયા હતા.

૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ કટોકટીની ઘોષણા કરી, મોરારજીભાઈ સહિત વિરોધ પક્ષનાં બધાં નેતાઓને જેલમાં પૂર્યાં. લેખક કહે છે, ‘સરમુખત્યાર પોતાની તાકાત લોકોની નબળાઈમાંથી મેળવે છે.મારી દ્રષ્ટિએ તો સરમુખત્યારી બળોએ ફેંકેલા પડકારનો સામનો કેવળ નિર્ભયતા જ કરી શકે.’ અટકાયતના દિવસો દરમિયાન મોરારજીભાઈએ તુલસીકૃત રામાયણનું પાંચ વાર અધ્યયન કર્યું હતું. તેઓ લખે છે, ‘મને નાનપણથી જ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રહી છે…  ઈશ્વરના નિયમો પ્રમાણે જે થાય છે તે ટાળી શકાતું નથી, પણ એ માણસનાં કર્મો પ્રમાણે જ બને છે.’

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની કેટલીક રસપ્રદ વાતો...

મોરારજી દેસાઈની આત્મકથા મારું જીવનવૃતાંત રસપ્રદ છે..

મોરારજીભાઈએ આત્મકથા લખી છે. એક નહીં ત્રણ ત્રણ ભાગમાં તેનું પ્રકાશન થયું છે. હવે તો ત્રણેય ભાગ એક સંયુક્ત ગ્રંથાકારે પણ મળે છે.

મારું જીવનવૃતાંત એક રસપ્રદ આત્મકથા છે. ભારતીય જાહેરજીવનનો ક્રમિક ઈતિહાસ આપણને તેમાં જોવા મળે છે. ગાંધી અને સરદારની વિદાય પછી મોરારજીભાઈનું ગુજરાતના રાજકારણ પર પ્રભુત્વ હતું તેથી ગુજરાતના રાજકારણ કે જાહેરજીવનનું પણ તેમાં સુંદર દસ્તાવેજીકરણ થયું છે. 

મોરારજીભાઈની આત્મકથાના લેખનમાં ગૂજરાત વિદ્યાપીઠના ત્યારના કુલ સચિવ વિનોદ ત્રિપાઠીએ ઘણી મદદ કરી હતી તેમ જાણ્યું હતું. 

મોરારજીભાઈના સચિવ રહેલા હસમુખ શાહે "દીઠું મેં" નામની આત્મકથા લખી છે તેમાંથી પણ આપણને મોરારજીભાઈનો સુંદર પરિચય થાય છે. 

જવાહરલાલ નેહરુના નિધન પછી મોરારજીભાઈ વડાપ્રધાન તરીકે સાૈથી સક્ષમ હતા પણ લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. આપણા બધાંને શાસ્ત્રીજી માટે સાચી રીતે જ ખૂબ માન છે, પણ, તેમણે પત્રકાર કુલદીપ નાયરની મદદથી રાજકારણ ખેલ્યું અને વડાપ્રધાનપદેથી મોરારજીભાઈની વિકેટ ઉડાડી દીધી. 

મોરારજીભાઈએ ભારતના વડાપ્રધાન તરીકે ઉત્તમ કામ કર્યું હતું. 1964 કે પછી 1978માં જો તેઓ થોડાક.. સાવ થોડાક સમાધાનકારી, ફેક્સીબલ થયા હોત તો દેશને તેમના વડાપ્રધાન તરીકેનો લાંબો સમયકાળ મળ્યો હોત અને સામાન્ય પ્રજાને ઘણો ફાયદો થયો હોત. 

એક વખત સુરત બાજુ કોંગ્રેસના યુવકોની શિબિર હતી. 

તેમાં સંબોધન કરવા મોરારજીભાઈ આવ્યા હતા. અમદાવાદના છનાલાલ જોશીએ ઊભા થઈને સવાલ પૂછ્યો કે જવાહર પછી કોણ ?  (એ વખતે જવાહરલાલ પછી વડાપ્રધાન તરીકે મોરારજીભાઈનું નામ પણ ચર્ચાતું હતું..) 

મોરારજીભાઈને આ સવાલ ના ગમ્યો. તેમણે કહ્યું કે હજી આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આપણી વચ્ચે છે. આવો સવાલ કરીને આપણે તેમના મૃત્યુ વિશે વિચાર કરીએ છીએ, જે કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. 

ગાંધી ફિલ્મ રિલિઝ થઈ ત્યારે મોરારજીભાઈ દેસાઈ અમદાવાદમાં હતા. કેટલાક લોકોએ પ્રોજેક્ટર વગેરેની સગવડ કરીને મોરારજીભાઈ આ ફિલ્મ જુએ તેવું આયોજન કર્યું. ફિલ્મ ખૂબ વખણાઈ હતી. બધાના આશ્ચર્ય વચ્ચે મોરારજીભાઈએ ફિલ્મ જોવાની ના પાડી દીધી. કારણમાં જણાવ્યું કે જો હું ફિલ્મ જોઉં અને મિડિયાવાળા મારો પ્રતિભાવ પૂછે ત્યારે જો મને ફિલ્મ ના ગમી હોય અને હું એવો મત આપું તો ફિલ્મના સર્જકોને નુકશાન જાય. મારા પ્રતિસાદથી લોકો ફિલ્મ જોવા ના જાય તો તેમની મહેનતને અસર થાય.

મોરારજી દેસાઈ વિશે કેટલાકનો મત એવો પણ ખરો કે મોરારજી દેસાઈ તુંડમિજાજી અને અહમી હતા. એ બાબતે મારે કોઈ અભિપ્રાય આપવો નથી. રાજકીય વ્યક્તિત્વ હોવાથી એવું બનવાજોગ પણ હોય. પરંતુ મોરારજીભાઈની એક અસ્સલ અનાવિલ ખાસિયત એ હતી કે તેઓ ‘યેસ-મેન’ નહોતા. અથવા એમ કહીએ કે સ્પષ્ટવક્તા હતા. તો તેમનો બીજો અનાવિલ ગુણ એ કે બોલવા કે વર્તવાને કારણે ભોગવવા પડતા પરિણામોની બહુ ચિંતા ન કરતા. હા, પણ બીજા ગુણમાં એક પૂર્વ શરત એ કે પોતાના પક્ષે નિષ્ઠા હોવી જોઈએ. 

તેઓ ‘જીહજૂરી’ને ક્યાં સુધી ટાળતા એનો એક મજાનો કિસ્સો શેર કરું. વર્ષ ૧૯૧૯માં પ્રાંતીજ તાલુકામાં પ્રાંત ઑફિસર તરીકે નિયુક્ત કરાયેલા. અને એ સમયે અંગ્રેજ અધિકારી મિસ્ટર ચેટફીલ્ડ ત્યાં ક્લેટર તરીકે કામ કરતા. એકવાર મિસ્ટર ચેટફીલ્ડ અને મોરારજીભાઈ ફિલ્ડ વિઝિટ પર હતા અને પ્રાંતિજ તાલુકાના કોઈક ગામમાં કલેક્ટર અને સામાન્ય લોકો સાથે કંઈક ચર્ચાઓ ચાલી રહી હતી. 

મોકાણ એ હતી કે મિસ્ટર ચેટફીલ્ડ તેમને આવડતી અડધીપડધી હિન્દીમાં ગોટપીટ કર્યે જતા હતા અને સ્થાનીક લોકો તેમની બોલીમાં ચલાવતા હતા. મોરારજીભાઈએ જોયું કે આ સંવાદમાં બંને પક્ષે માથાકૂટ થઈ રહી છે એટલે એમણે રસ્તો કાઢ્યો કે લોકો જે કહે એ તેમણે અંગ્રેજીમાં ચેટફીલ્ડને કહેવા માંડ્યું અને ચેટફીલ્ડની વાતો લોકોને ગુજરાતીમાં સમજાવવા માંડી. 

પણ કલેક્ટરસા’બ કંઈક જૂદું સમજ્યા. તેમને એમ લાગ્યું કે નીચલા અધિકારી તેમની વાતોમાં દખલ કરી રહ્યા છે. એટલે લોકોની વચ્ચે પોતાના પ્રાંત ઑફિસરને ખખડાવી નાંખ્યા કે ભાઈ તમે વચ્ચે ના બોલો. મોરારજીભાઈને એ બાબત લાગી આવી. કારણ કે તેમનો આશય એવો કે કલેક્ટર અને લોકો એમ બંને વચ્ચે યોગ્ય સંવાદ સધાય અને જે કોઈ સમસ્યા છે એનું નિરાકરણ થાય. પણ આ તો તેમને બધાની વચ્ચે કહેવાયું કે તમે વચ્ચે ન પડો! 

પણ આ તો મોરારજી. એમને માટે પાછળથી એમ પણ કહેવાતું કે લોખંડના થાંભલાને માથે ગાંધી ટોપી પહેરાવો તો એને પણ મોરારજી કહી શકાય... એવા જિદ્દી તરીકેની એમની છાપ. એટલે તમતમી ઊઠેલા મોરારજીભાઈએ પણ સમય અને સ્થળ જોયા વિના કલેક્ટરને સામું સંભળાવ્યું કે, ‘તમને મારી જરૂર ન હોય તો લ્યો, આ હું મારા મુકામે ચાલ્યો.’ અને મોરારજીભાઈએ પોતાના ઉપરી અધિકારી શું વિચારશે કે શું પગલાં લેશે એનો વિચાર કર્યા વિના ત્યાંથી ચાલવા માંડેલું.

અલબત્ત, ચેટફીલ્ડ સાથે પાછળથી એ બાબતે સમાધાન થઈ ગયેલું અને ચેટફીલ્ડની પોતાનો આશય સમજાવી શકેલા. પણ આ કિસ્સાને લઈને તેઓ નોંધે છે કે ‘ખોટું ન બોલવું કે ન કરવું અને કોઈથી ગભરાવું કે ડરવું નહીં એ મારો સંકલ્પ હતો. એ સંકલ્પ પાળવાને માટે જો ‘’નોકરી જાય તો ભલે જાય’’ એવી નિરાંત મેં મનમાં રાખી હતી! 

આવા કિસ્સામાં સામાન્યતઃ નીચલો અધિકારી સૉ કૉલ્ડ પ્રેક્ટિકાલિટીની દુહાઈ આપતો હોય કે સાહેબને થોડું કંઈ કહેવાય? ઉલ્ટા સાહેબની હામાં હા કર્યે રાખીને સારી જગ્યા અને સારા પદો પર નોકરી કર્યે રાખી હોત. પણ નહીં. મોરારજી આ બાબતે નોખા હતા. અનાવિલોનો સામાન્યતઃ જે સ્વભાવ છે એ સ્વભાવ ‘નોકરી જાય તો ભલે જાય’નો આગ્રહ તેમણે આજીવન રાખ્યો હતો.

નિષ્ઠા રાખ્યા પછી પણ જો આવા આગ્રહોને દુરાગ્રહ અથવા તુંડમિજાજ કહેવાતો હોય, તો તુંડમિજાજી તરીકે ઓળખાવું, પણ ખુશામતખોર ન બનવું એ મોરારજીના આ કિસ્સામાંથી જાણવા મળે છે. આજે તો આવા કિસ્સા ઠેરઠેર જોવા મળે છે. યેનકેન પ્રકારેણ સાહેબ બનેલા કેટલાક તો પાછા તેમને સાહેબ જ કહેવું એવો પણ આગ્રહ રાખે છે. પણ શું આજે કોઈ એમ કહી શકે ખરું કે ‘નોકરી જાય તો ભલે જાય’… 

એવું એટલે પણ ન કહેવાય કે એવું કહેવા માટે આપણે પક્ષેય નિષ્ઠા તો જોઈને? ખુશામત અને જીહુજુરી જ કરી હોય એ થોડા એવું કહી શકે? આદર્શવાદ હવે આપણા સમાજ જીવનનું અંગ રહ્યો નથી.

આવા હતા મોરારજીભાઈ દેસાઈ.. 

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈની સેેવાનો લાભ ના મળ્યો તે પણ દુઃખદ કહી શકાય કદાચ.

તેમના અંતિમ સંસ્કાર અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે, ગાંધી આશ્રમની બાજુમાં કરાયા હતા. 

(મોટા ભાગે ભારતના વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય છે, પણ ગુજરાતીઓ તરીકે જેમને સતત અન્યાય કરાયો તેવા સરદાર પટેલ અને મોરારજીભાઈ દેસાઈ બન્નેના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરાયા નથી.) તેમની સમાધિને "અભયઘાટ" એવું યથાર્થ નામ આપ્યું હતું. 

એક વખત એવું બન્યું, રજનીશજી નો આશ્રમ કચ્છ માં બને તેની બધી પૂર્વ શરતો મનઝુર થઈ ગઈ,અને આશ્રમ બનાવવા માટે ની જમીન પણ મેળવી લીધી!રજનીશજી સાથે ભારત ના શક્તિશાળી મોટા માથા કહેવાય તેવા લોકો હતા,અને આ આશ્રમ કચ્છ માં બનશે જ તેવું નક્કી થઈ ગયું!

ત્યારે ભારત ના રાજનેતા મોરારજીભાઈ દેસાઈ એ રજનીશજી નો આશ્રમ કચ્છ માં ન જ બનવો જોઈએ તેવી સરકાર માં રજુઆત કરી એકલા હાથે!

મોરારજી દેસાઈ કોંગ્રેસ ના ભણેલા ગણેલા મંત્રી હતા!ડાયરેકટ પરીક્ષા આપી રિકરુટ થયેલા ઓફિસર!(બાકી સરદાર, ગાંધી કે નહેરુ ઇંગ્લેન્ડ જઈ ને બેરિસ્ટર બનેલા,તે વખતે ઇંગ્લેન્ડ માં બેરિસ્ટર ની પરીક્ષા માં બેસવા માટેની લાયકાત ઉમેદવાર ની ઉંમર 21વર્ષ હોવી જોઈએ તે હતી!)

મોરારજીભાઈ પોતાના અભ્યાસ હિસાબે જાણતા હતા કે કચ્છ માં પાકિસ્તાની બોર્ડર ને લીધે કઈક આંતરરાષ્ટ્રીય કૌભાંડો આ રજનીશ આશ્રમ ને લીધે બની શકે!

અને મોરારજીભાઈ એ એકલે હાથે રજનીશ આશ્રમ ની સ્થાપના અટકાવી દીધી!

ગોધરા માં જ્યારે મોરારજીભાઈ કલેકટર હતા ત્યારે મુસલમાન વિરોધી છે તેવા આક્ષેપો થયેલા પણ મોરારજીભાઈ એ મુસલમાનો નું તૃષ્ટીકરણ કરવા ના બદલે પોતાની ઇમેજ ખરડાય તેની કોઈ પરવા નહોતી કરી!

જ્યારે સર્વોચ્ચ સતા હાથ માં આવી અને મોરારજીભાઈ વડાપ્રધાન બની ગયા ત્યારે પણ સતા માટે કોઈ સમાધાન મોરારજીભાઈ એ ન જ કર્યું,બલ્કે સતા છોડી દીધી!

ભારત ના રાજકરણ ના ઇતિહાસ માં મોરારજી દેસાઈ જેવો કોઈ બહાદુર,મર્દ રાજકરણી થયો નથી!

મોરારજીભાઈ એ કદી વોટ બેન્ક ની પરવા નથી કરી!કદી પણ કોઈ મહાન નેતાઓ ની ચસમપોષી,ખુશામત નથી કરી!

વ્હોરા મૌલાના ની ખિલાફ પણ તપાસ પંચ નિમ્યુ!જ્યારે વ્હોરાઓ ના મત કોંગ્રેસ વિરુદ્ધ થઈ જાય તેવું બને જ તે છતાંય!

ફક્ત દેશહિત અને દેશ ના બંધારણ ને વફાદાર હોય તેવો કોઈ રાજનેતા ભારત ના ઇતિહાસ માં સ્થાન ધરાવતો હોય તો એક માત્ર વિરલો શ્રી છે સ્વ. શ્રી મોરારજી દેસાઈ ...🙏

ડો.અલ્કેશ ગાંધી (ફેસ બુક વોલ પરથી)

Post a Comment

0 Comments